Ahmedabad News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપની કેન્દ્રીય રાષ્ટ્રીય ટીમના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા 17 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલું અનોખું પર્યાવરણલક્ષી અભિયાન આજે એક વિશાળ જનજાગૃતિના વટવૃક્ષમાં પરિવર્તિત થયું છે. રક્ષાબંધનના પર્વને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતી આ પહેલ અંતર્ગત આ વર્ષે અમદાવાદના સત્યમેવ વિસ્ટા ખાતે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. રંગોળી, મંગળગીતો અને પરંપરાગત માહોલ વચ્ચે મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓએ વૃક્ષોને રાખડી બાંધીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારીનો સંકલ્પ લીધો હતો.
વર્ષાબેન દોશીની આ પહેલમાં અત્યાર સુધીમાં 1,600થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે સતત 16 વર્ષ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતી આ અનોખી ઉજવણી હવે 17મા વર્ષે અમદાવાદ સુધી પહોંચી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતું સીમિત ન રાખી વૃક્ષો અને પર્યાવરણની રક્ષા સાથે જોડવાનો છે.
વૃક્ષને ભાઈ માની બાંધે છે રક્ષાસૂત્ર
ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને દાદા, ચંદ્રને મામા અને નદીને માતા તરીકે જોવાની પરંપરા રહી છે. આ જ સાંસ્કૃતિક ભાવનાને આગળ વધારી વર્ષાબેન દોશીએ વૃક્ષને પણ પરિવારના સભ્ય અને ભાઈનું સ્થાન આપીને તેને રાખડી બાંધવાની પહેલ શરૂ કરી હતી. 17 વર્ષ પહેલાં શરૂ થયેલી આ વિચારધારા હવે અનેક મહિલાઓ અને યુવતીઓ સુધી પહોંચી છે.
આ અભિયાન અંતર્ગત અગાઉ સુરેન્દ્રનગરના ટાગોર બાગ, દલપતરામ બાગ, માનવ મંદિર, ભોગાવો નદી કિનારો અને એમ.એલ. દોશી કોલેજ સહિતના વિવિધ સ્થળોએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ વૃક્ષોને બાંધીને તેમના જતન અને સંવર્ધનનો સંદેશ આપે છે. આ વર્ષે અમદાવાદમાં પણ આ પરંપરાને આગળ ધપાવવામાં આવી હતી.
રક્ષાબંધન સાથે વૃક્ષારોપણનો સંકલ્પ
આ પહેલની વિશેષતા માત્ર વૃક્ષને રાખડી બાંધવામાં નથી, પરંતુ તેની સાથે વૃક્ષ વાવવાનો અને ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ અને સુખાકારીની કામના કરવાની સાથે વૃક્ષોના જતન અને સંવર્ધન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
પર્યાવરણની દૃષ્ટિએ વૃક્ષોના મહત્વ અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ વધી છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનનું મહત્વ અને વૃક્ષોની આવશ્યકતા અંગે સમાજને વધુ ગંભીરતાથી સમજાયું હતું. વધતી ગરમી, પ્રદૂષણ અને શહેરીકરણ વચ્ચે વૃક્ષોનું સંરક્ષણ માત્ર પર્યાવરણનો મુદ્દો નહીં પરંતુ સ્વસ્થ જીવન સાથે પણ સીધી રીતે જોડાયેલો છે.
આ પણ વાંચો: મોરબી: ટંકારામાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ : ખેડૂતને 4150 કિલો ઘઉંના પૈસા ન મળતાં મામલો ગરમાયો
17 વર્ષથી સતત જળવાઈ રહી પરંપરા
એક વિચારથી શરૂ થયેલી આ પહેલ 17 વર્ષ સુધી સતત આગળ વધે તે પોતાનામાં નોંધપાત્ર બાબત છે. અલગ-અલગ સ્થળોએ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને જોડીને આ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ વર્ષે અમદાવાદમાં યોજાયેલી ઉજવણીથી આ અભિયાનને નવા શહેરમાં પણ વિસ્તાર મળ્યો છે.
રક્ષાબંધનના પર્વે વૃક્ષોને રાખડી બાંધવાની આ પરંપરા પ્રતીકાત્મક હોવા છતાં તેની પાછળનો સંદેશ વ્યવહારુ છે. વૃક્ષો પ્રત્યે લાગણી વિકસે, નવા વૃક્ષો વાવવામાં આવે અને વાવેલા વૃક્ષોની જવાબદારી પણ લેવામાં આવે તે માટે સામૂહિક સંકલ્પ ઊભો કરવાનો પ્રયાસ આ અભિયાનમાં કરવામાં આવે છે.

Comments
Nothing yet. Say the first thing.
Sign in to join the conversation.